Tuesday, December 27, 2011

Indian Python - New competitors of Asiatic Lions (in food chain)

27-12-2011

Indian Python - New competitors of Asiatic Lions (in food chain)

Sandesh
http://www.sandesh.com/article.aspx?newsid=19881


અજગર : ગીરમાં સિંહોના નવા પ્રતિસ્પર્ધી?

વાઈલ્ડ વર્લ્ડ - ધીરુ પુરોહિત
Dec 20, 2011
૧૪૧ર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગીર જંગલના મુખ્ય પ્રાણી સિંહ માટે આજકાલ એક નવો પડકાર ઊભો થઈ રહ્યો છે. સિંહ માટે તેના ખોરાક માટેનો મુખ્ય પ્રતિસ્પર્ધી આજ સુધી દીપડો જ મનાતો હતો. પણ હવે આ પ્રતિસ્પર્ધીમાં એકનો વધારો થયો છે. એ જીવ છે 'ભારતીય અજગર' (ઈન્ડિયન પાયથન). છેલ્લાં કેટલાંક વર્ષોના અભ્યાસ પછી એવું ફલિત થયું છે કે, ગીરનો અજગર મોટા ભાગે ચિત્તલ (કે અન્ય હરણ)ને પોતાનો શિકાર બનાવે છે. ચિત્તલ કે અન્ય પ્રકારનાં હરણ મુખ્યત્વે સિંહ-દીપડાનો મુખ્ય શિકાર છે.

સિંહ માટે દીપડા પછી અજગર ખોરાકનો મુખ્ય પ્રતિસ્પર્ધી બનતો જતો હોવાનું કારણ ફક્ત ચિત્તલની મોટી વસતી એકમાત્ર કારણ નથી! અજગરના શિકાર અંગે એકધારું ધ્યાન કેન્દ્રિત કર્યા પછી એ વાત સ્વીકારવા તરફ જવું પડે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં અજગરની સંખ્યા તો વધી જ છે. સાથે સાથે વધુ લંબાઈ અને જાડાઈના તંદુરસ્ત અજગરો ગીર જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. અને આ અજગરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાતા એક એવી વાત પણ ઉભરી આવે છે કે, આ અજગરો શિકારમાં મુખ્યત્વે ચિત્તલને વધુ ફસાવતા હોવાનું ફલિત થયું છે. સામાન્ય સંજોગોમાં પક્ષીઓ કે નાના જીવોનો શિકાર શોધતા અજગર હવે ગીરમાં ચિત્તલ જેવા હરણનો શિકાર કરતા દેખાયા છે.

વાતને સ્પષ્ટ કરતા ગીરના નાયબ વન સંરક્ષક ડો.સંદિપકુમાર કહે છેઃ "એ ઘટના ર૦૧૦ વર્ષના ૪ ઓગસ્ટની છે. ત્યારે ૧૧ ફૂટથી વધુ લાંબા અજગરે ચિત્તલનો શિકાર કર્યો હતો. આ પશુ ઘાસ ચરતું-ચરતું અજગરના શિકારની રેન્જમાં પહોંચી ગયું કે, અજગરે એક જ ઝપાટે ચિત્તલને ફસાવી દઈ તેના શરીર ફરતે મજબૂત ભરડો બનાવી લીધો અને શ્વાસ ઘૂંટાવાથી મૃત્યુ પામેલ ચિત્તલને આખો ગળી ગયો. થોડા કલાકો પછી આવી જ ઘટના ગીરના અન્ય વિસ્તારમાં બની હતી. જ્યાં અજગરનો શિકાર ચિત્તલ જ બન્યું હતું!"

ર૦૦૬થી ર૦૧૦ દરમિયાન ગીર જંગલમાં જુદા જુદા વિસ્તારોમાંથી ૧ર જેટલા અજગરોને પકડવામાં આવ્યા છે. જેમાંથી ૯ માદા અજગર હતા. આ અજગરો લંબાઈમાં અને તંદુરસ્તીમાં ખૂબ સારા હોવાનું નોંધાયું છે. જોકે અજગરોની શિકારની સ્થિતિ પર નજર રાખવામાં આવતા કોઈ અજગરે હરણનો શિકાર કર્યો હોય પછી એ અજગર ફરી હરણનો જ શિકાર કરતા થયા હોવાનું નોંધાયું છે. ગીર જંગલમાં વર્ષો સુધી વન્યપ્રાણીઓના રક્ષણ અને સંવર્ધનની કામગીરી સાથે સંકળાયેલા લોકો પણ આ વાત સાથે સહમત થાય છે. સંદિપકુમાર ઉમેરે છે, "અજગરના ઉપરના હોઠ પર ખાસ પ્રકારનું 'હિટ સેન્સર' હોય છે જે ગંધ અને શિકારના શરીરમાંથી નીકળતી ગરમી(હીટ) પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. અજગર તેના શિકારની નજીક હોય તે સ્થિતિ આ જીવ પામી ગયા પછી શિકાર પર તરાપ મારી શિકારને ફસાવવાની કાર્યપદ્ધતિ આ જીવમાં અદ્ભુત હોય છે. પણ, અજગર એક પ્રાણી(ખાસ કરીને હરણ)નો શિકાર કરે પછી એ પ્રાણીની ગંધ તેના સેન્સરમાં એવી તો જામી પડે કે પછી અજગર ચિત્તલ જેવા હરણનો જ શિકાર કરતા રહે!"

પક્ષીઓ અને નાનાં પ્રાણીઓના બદલે હરણ જેવાં પ્રાણીઓનો શિકાર કરવાના કારણે અજગરો વધુ તંદુરસ્ત અને લંબાઈ ધરાવતા થયા હોવાનું પણ કહેવાય છે. હરણ અજગરના ખોરાક લિસ્ટમાં આવ્યું તે પછી અજગરનો વિસ્તાર પણ ગીર જંગલ અને જંગલની સીમાના ખેતર વિસ્તારો સુધી વધ્યો હોવાનું ફલિત થયું છે.

છેલ્લાં વર્ષોમાં ગીર જંગલ ઉપરાંત જંગલની બોર્ડરની બહાર રેવન્યુ વિસ્તાર-કૂવાઓમાંથી પણ અજગેરો મળ્યા છે.

અજગરે તેના ખોરાકનું ફલક વધાર્યું છે અને તે હવે સિંહનો મજબૂત સ્પર્ધક બની રહ્યો છે. એ વાત સાથે સહમત થતા જૂનાગઢ સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર વી.જે રાણા કહે છે, "ચિત્તલ ગીરનું મુખ્ય તૃણભક્ષી પ્રાણી અને વિશાળ સંખ્યામાં મળે છે. વૃક્ષની નીચે પાંદડાં ખાતા ચિત્તલ પર વૃક્ષ પરથી તરાપ મારી શિકાર કરવો અજગરનો સ્વભાવ હોય. એટલે હરણ અજગરનો મુખ્ય ખોરાક બની ગયું હોય તે વાત ખરી હોઈ શકે."

જો કે ચિત્તલ જેવા હરણનો મોટો શિકાર કરતા થયેલા અજગરો સિંહના શિકારમાં મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી રહ્યા હોવાની બાબત ગીર જંગલના જીવો પર નજર રાખતા વિશેષજ્ઞાો માટે સંશોધનનો વિષય છે. એક એવી ઘટના પણ ઘટી હતી કે અજગરે શિયાળનો શિકાર કર્યો હોય પછી એ અજગરે ફરી પાછો શિયાળનો જ શિકાર કર્યો હોય. છતાં એ વાત કહેવી તો પડે જ કે, ગીરમાં સિંહ, દીપડા, હરણ, ઝરખની જેમ હવે અજગરની ગણતરી કરવી પડે તે સમય કદાચ દૂર નહી હોય!

* પેટે ચાલનારા જીવોમાં અદ્ભુત જીવ ભારતીય અજગર ત્રણ વર્ષની ઉંમરે પુખ્ત બન્યા પછી નર-માદાના સંવનન પછી માદા અજગર ૩ થી ૪ મહિનાના ગર્ભાધાન બાદ ૧૦૦ જેટલાં ઈંડાં મૂકે છે. બીજા સર્પો કે ઘણા પેટે ચાલનારા જીવોની માદા ઈંડાં મૂક્યા પછી જગ્યા છોડી જાય છે, પણ માદા અજગર ઈંડાંમાંથી બચ્ચાં બહાર ન આવે ત્યાં સુધી ઈંડાંની ઉપર જ ત્રણ-ચાર મહિના સુધી રહે છે. જોકે ઈંડાંમાંથી તંદુરસ્ત બચ્ચાં બહાર આવવાની શક્યતા પ૦-પ૦ ટકા જેવી રહે છે.

* અજગર એક વાર શિકાર કર્યા પછી લાંબા સમય સુધી ફરીથી શિકાર કરતો નથી. આ સમયગાળો ઘણી વખત ત્રણ માસથી એક વર્ષ સુધીનો પણ નોંધાયો છે! શિકાર કર્યાના થોડા કલાકો સુધી અજગર એ જગ્યા છોડતો નથી. પણ પૂર્વ ગીરમાં અજગરે ચારેક મહિનામાં બે શિકાર કર્યાના દાખલા નોંધાયા છે.

No comments:

Previous Posts